कुलदेवी और कुलदेवता की जानकारी सबमिट करें

कुलदेवी और कुलदेवता की जानकारी सबमिट करें यहाँ प्रस्तुत है विभिन्न Nukh व गोत्रों की कुलदेवी और कुलदेवता की सूची का विवरण तथा सम्बन्धित विविध लेख। इन लेखों से आप अपने NUKH -गोत्रों के इतिहास,कुलदेवी और कुलदेवता इत्यादि के बारे में जानकारी प्राप्त कर सकते हैं। यदि आप अपने समाज से सम्बंधित कोई लेख इस ब्लॉग में जोड़ना चाहते हैं तो आपका लेख इस लिंक पर भेज सकते हैं अन्य NUKH - गोत्रों की कुलदेवियों की सूची...को भी जोड़ने का क्रम जारी है। यदि आप अपने कुलदेवी और कुलदेवता के बारे में कोई जानकारी देना चाहते हैं तो कृपया अपना लेख ऊपर दिए गए E- MAIL - bhatiacommunity@gmail.com पर सबमिट करें

Friday, October 27, 2017

|| લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને જ કેમ વર્યાં? ||

|| લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને જ કેમ વર્યાં? ||

એક વાર ઈન્દ્ર રાજાને રસ્તામાં દુર્વાસા ઋષિ મળી ગયા. પોતાના ગળામાં ફૂલોની જે માળા હતી તે ઉતારીને ઋષિએ ઈન્દ્રદેવને આપી, પણ ઈન્દ્રએ તે પ્રેમની કદર કરી નહીં. તેમણે ફુલોની માળા હાથીના મસ્તક પર ફેંકી દીધી. હાથી તે માળા સૂંઢથી ઉતારીને પગ નીચે કચડવા લાગ્યો. દુર્વાસા ઋષિને તે ઠીક લાગ્યું નહીં. ફુલોમાં લક્ષ્મીજીનો નિવાસ છે. દુર્વાસા ઋષિએ ઈન્દ્રરાજાને શાપ આપ્યોઃ ”તને અભિમાન થયું છે. તું દરિદ્ર થઈ જઈશ.”

આ શાપ પછી દેવો અને દૈત્યોનું યુદ્ધ થયું. યુદ્ધમાં દેવોની હાર થઈ. સ્વર્ગનું રાજ રાક્ષસોને મળ્યું. ઈન્દ્ર પાસેથી સ્વર્ગ જતું રહેતાં બધા દેવો દુઃખી થઈ ગયા. બધા દેવો પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુએ આજ્ઞા કરી : ”તમે સમુદ્ર મંથન કરો. તેમાંથી અમૃત નીકળશે, જે યુક્તિથી હું તમને પીવરાવીશ. આ કામ અત્યંત મુશ્કેલ છે તેથી દૈત્યોની પણ મદદ લો. શત્રુને વંદન કરી મિત્ર બનાવો. એમ નહીં કરો તો શત્રુ તમારા કામમાં વિઘ્ન નાંખશે. દૈત્યો પણ જે માંગે તે આપજો.”

દેવોએ દૈત્યો સાથે મૈત્રી કરી. મંદારાચલ પર્વતનો રવો બનાવ્યો. તેને સમુદ્રમાં પધરાવ્યો. સમુદ્રમાં દેવો અને દૈત્યો મંથન કરવા લાગ્યા. મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો. બધા ગભરાયા. એ વખતે કૂર્મ નારાયણ ભગવાન પ્રગટ થયા. તેમણે પોતાની પીઠ પર મંદરાચલ પર્વત રાખ્યો. દેવો અને દૈત્યો અમૃત માટે મંથન કરતા હતા પરંતુ નીકળ્યું ઝેર. બધા ગભરાયા દેવો અને દૈત્યો ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યાઃ ” હે મહાદેવ! આ ઝેર અમને બાળે છે.”

શિવજીએ પાર્વતીજીને કહ્યું: ”આ બધા મને ઝેર પીવા કહે છે.”

પાર્વતીજીએ કહ્યું: ”પરોપકાર સારો, પણ એવો પરોપકાર શું કામનો જેનાથી આપણો વિનાશ થાય?”

શિવજીએ કહ્યું: ”મને જે થવાનું હોય તે થાય પણ આ લોકો તો સુખી થશે ને ?”

ભગવાન શિવ પધાર્યા. ‘રામ’ નામનો જપ કરતાં શિવજી ઝેર પી ગયા, પણ ઝેર તેમણે ગળામાં રાખ્યું, પેટમાં ઉતાર્યું નહીં. એ ઝેર બહાર કાઢયું પણ નહીં. એ કારણે તેમનો કંઠ નીલ થયો. દેવો અને ગાંધર્વોએ શિવજીનો જયજયકાર કર્યો. દેવો અને દૈત્યોએ મંથન ચાલુ રાખ્યું. હવે સમુદ્રમાંથી કામઘેનુ ગાય માતા પ્રગટ થયાં તે બ્રાહ્મણોને અર્પણ કરવામાં આવ્યા. તે પછી સમુદ્રમાંથી ઉચ્ચૈઃ શ્રવા નામનો ઘોડો બહાર આવ્યો. દાનવોએ માગણી કરી કે, આ ઘોડો અમને મળવો જોઈએ. રાક્ષસોને એ ઉચ્ચૈઃશ્રવા ઘોડો આપવામાં આવ્યો. તે પછી સમુદ્રમાંથી ઐરાવત નામનો હાથી બહાર આવ્યો. ઐરાવત હાથી દેવોના પક્ષમાં આવ્યો. હાથી પછી કૌસ્તુભ મણિ નીકળ્યો. તે નારાયણને અર્પણ કર્યો. તે પછી પારિજાત નામનું કલ્પવૃક્ષ અને અપ્સરાઓ બહાર આવ્યા. તે પછી સમુદ્રમાંથી સાક્ષાત્ શ્રી મહાલક્ષ્મી પ્રગટ થઈ બહાર આવ્યા. મહાલક્ષ્મીને સોનાના પાટલે બેસાડી બ્રાહ્મણોએ વેદમંત્રો સાથે તેમનો અભિષેક કર્યો. સખીઓએ લક્ષ્મીજીને શ્રૃંગાર કર્યો. બધાને એવી ઈચ્છા થઈ કે, આ લક્ષ્મી મને મળે તો સારું.”

લક્ષ્મીજીએ કહ્યું: ”સ્વયંવર યોજો. હું બધાને જોઈશ અને એ વખતે હું મારા પતિને પસંદ કરી તેને વિજયમાળા અર્પણ કરીશ.”

સ્વયંવરનું આયોજન થયું. એક બાજુ સિંહાસન પર દેવો બિરાજ્યા. બીજી બાજુ સિંહાસન પર દાનવો બેઠા. ઋષિમુનિઓ અને તપસ્વીઓ પણ લક્ષ્મીજીને પામવાની આકાંક્ષાથી સ્વયંવરમાં આવ્યા. સખીઓ હાથમાં ફૂલમાળા સાથે લક્ષ્મીજીને વારાફરતી એક બીજાની પાસે લઈ જવા માંડી. લક્ષ્મીજીએ તપસ્વીને જોઈ સખીઓને કહ્યું: ”આ તપસ્વી છે, પણ તેમના તપને ભક્તિનો સાથ નથી. તેઓ ક્રોધ બહુ કરે છે. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને દેવો પાસે લઈ ગયાં. લક્ષ્મીજીએ દેવો સામે જોયું અને સખીઓને કહ્યુંં: ”દેવો કામી બહુ હોય છે. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને આગળ લઈ ગયાઃ હવે પરશુરામ ભગવાન બીરાજતા હતા. સખીઓએ લક્ષ્મીજીને કહ્યું: ”આ પરશુરામ ભગવાન છે. તેઓ કામી નથી, ક્રોધી નથી, મહાન વીર છે.”

લક્ષ્મીજીએ કહ્યું: ”… પણ તેઓ બહુ નિષ્ઠુર જણાય છે. તેઓ ક્ષત્રિયોના નાના બાળકોની હિંસા કરતા હતા. જ્યાં દયા નથી ત્યાં હું નહીં. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને આગળ લઈ ગઈ. અહીં માર્કન્ડેય ઋષિ બિરાજતા હતા. સખીઓ કહેવા લાગીઃ ”આ માર્કન્ડેય ઋષિ છે. તેઓ કામી નથી, ક્રોધી નથી અને નિષ્ઠુર પણ નથી. પ્રલયકાળ સુધી તેમનું આયુષ્ય છે. તેઓ મહાનજ્ઞાની પણ છે.”

માર્કન્ડેય ઋષિ સભામાં આંખો બંધ કરીને બેઠા હતા. તેઓ મનમાં વિચારતા હતા કે, લક્ષ્મી કરતાં તો મારા નારાયણ સુંદર છે. લક્ષ્મીજી તેમની સમક્ષ ઊભા રહ્યા, પણ તેમણે આંખ ઉઘાડી જ નહીં, આંખો બંધ રાખીને ઋષિ બોલ્યાઃ ”માતાજી! તમે સુંદર છો પણ તમારા કરતાં પણ નારાયણ વધુ સુંદર છે.”

લક્ષ્મીજીએ સખીઓને કહ્યું: ”આ ઋષિ તો આંખ જ ઉઘાડતા નથી. આગળ ચાલો.”

હવે આગળ ભગવાન શંકર બિરાજતા હતા. સખીઓએ લક્ષ્મીજીને કહ્યું: ”આ દેવોના દેવ છે. એમણે કામને બાળીને ભસ્મ કર્યો છે. વળી એમને કદી ક્રોધ આવતો નથી. એમના માથા પર ગંગાજી છે.”

લક્ષ્મીજીએ કહ્યું: ”બધું સારું છે, પણ એમનો વેશ બહુ સારો નથી. વાઘામ્બર ઓઢયું છે. તેમના ગળામાં તો સર્પ છે, આગળ ચાલો.”

હવે આગળ શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ચતુર્ભુજ નારાયણ ભગવાન વિષ્ણુ બેઠેલા હતા. લક્ષ્મીજીએ તેમને જોયાં. લક્ષ્મીજીને લાગ્યું કે, ”આ જ ભગવાન સર્વગુણસંપન્ન છે. તેમનામાં એક પણ દોષ નથી. તેમની અડધી આંખ ઉઘાડી છે. અડધી આંખ બંધ છે. લક્ષ્મીજીને લાગ્યું કે આ જ ભગવાન નારાયણ છે એટલે તેમણે તરત જ ફુલોની બનેલી વિજયમાળા તેમને અર્પણ કરી દીધી. દેવો અને ગાંધર્વોએ લક્ષ્મીનારાયણ ભગવાનનો જયઘોષ કર્યો. લક્ષ્મીજીએ વિજયમાળા અર્પણ કરી એટલે ભગવાન ચારેય બાજુ જોવા લાગ્યા. પણ લક્ષ્મીજી હવે નારાયણને વરી ચૂક્યાં હતાં. દેવો અને દૈત્યો ફરી સમુદ્રમંથન કરવા લાગ્યા. સમુદ્રમાંથી ભગવાન ધન્વન્તરી હાથમાં અમૃતનો કુંભ લઈ પ્રગટ થયા. દાનવોએ દોડીને આ ઘડો ખેંચી લીધો. અમૃત કુંભ માટે દેવો અને દાનવો વચ્ચે ઝઘડો થયો. ભગવાન નારાયણે હવે યુક્તિ કરી. તેઓ મોહિનીનારાયણ રૂપે પ્રગટ થયા. આજે તેમને પિતામ્બર પહેર્યું નહોતું. એથી ઊલટું સુંદર સ્ત્રીનું સ્વરૂપ લઈને સાડીને પહેરીને આવ્યા હતા. મોહિની નારાયણના સ્વરૂપમાં એક અદ્ભુત સ્ત્રી સૌંદર્યને જોઈને દાનવો અમૃતને ભૂલી ગયા, અને એ મોહિનીનારાયણને તાકી રહ્યા. દાનવો દોડતા તેમની પાસે ગયા અને પૂછવા લાગ્યાઃ ”તમે કોણ છો ? તમારું ઘર ક્યાં છે ? તમારાં માતા-પિતા કોણ છે ? તમારું લગ્ન થયું છે કે કેમ ?”

મોહિનીના સ્વરૂપમાં ભગવાન નારાયણે ગાલમાં હસતાં હસતાં કહ્યું: ” તમે મારું ઘર પૂછો છો, પણ મારું કોઈ ઘર નથી. જે વ્યક્તિ મારા માટે રડે છે, જે વ્યક્તિ મને પ્રેમ કરે છે તેના જ ઘરમાં હું જાઉં છું.”

એ વખતે જે દાનવના હાથમાં અમૃતનો કુંભ હતો તેની તરફ મોહિની સ્વરૂપમાં ભગવાન નારાયણ જોઈ રહ્યા. એ દાનવ તો રાજી થઈ ગયો. એને લાગ્યું કે, આ મોહિનીને મારા માટે જ પ્રેમ થઈ ગયો છે. એણે મોહિની સ્વરૂપમાં આવેલા ભગવાન નારાયણને અમૃતનો કુંભ ધરતા કહ્યું: ”બહુ પરિશ્રમ પછી આ અમૃત મળ્યું છે જે હું તમને અર્પણ કરી દઉં છું. આ અમૃત માટે અમારી અને દેવોની વચ્ચે ઝઘડો થયો છે. તમે પીરસશો તો કોઈ ઝઘડો કરશે નહીં ” એમ કહી દાનવે અમૃતકુંભ મોહિની નારાયણને આપ્યો.

હવે દેવો અને દાનવો આમને સામને બેસી ગયા. મોહિની નારાયણ પહેલાં દાનવો પાસે આવ્યા. તેમણે દાનવોને કહ્યું: ”આ કુંભમાં ઉપર પાણી જેવું અમૃત છે. તે પહેલાં દેવોને પીવરાવું અને નીચે જે અસલી અમૃત છે તે પાછળથી હું તમને પીવરાવીશ.”

મોહભંગ દાનવોએ એ વાત કબૂલ રાખી. દૈત્યોના મંડપમાં રાહુ નામનો એક દૈત્ય હતો. તેને કપટનો શક જતાં તે દેવનું સ્વરૂપ ધારણ કરી સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈ બેસી ગયો. મોહિની નારાયણને પંગતમાં કોઈ વિષમતા કરવી ઠીક લાગી નહીં. તેથી રાહુને પણ અમૃત આપ્યું. સૂર્ય અને ચંદ્રએ આંખથી ઈશારો કર્યો. પ્રભુએ સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક કાપી નાંખ્યું. રાહુ અમૃત પી ગયો હોઈ તે મર્યો નહીં. તેનાં ધડ અને મસ્તક અલગ થયા. આ ઘટનાનું અર્થઘટન કરતાં પૂ. ડોંગરેજી મહારાજ કહે છે કેઃ ”મોહિની નારાયણે ઈન્દ્રને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. અશ્વિનીકુમારને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. સૂર્ય અને ચંદ્રને અમૃત આપતી વખતે જ તે વચ્ચે આવી ગયો. સૂર્ય બુદ્ધિનો માલિક છે જ્યારે ચંદ્ર મનનો માલિક છે. બુદ્ધિ અને મન ભક્તિમાં તરબોળ બને છે ત્યારે રાહુ આવે છે. આંખથી કે શરીરથી જે ભક્તિ કરે છે તેને રાહુ ત્રાસ આપતો નથી. પરંતુ મનથી જે ભક્તિ કરે છે તેને વિષમરૂપી રાહુ બહુ ત્રાસ આપે છે. ભગવાને તેનું માથું કાપ્યું છે પણ તે મર્યો નથી. તે અજરઅમર છે. તે ક્યારે માથું ઊંચકશે તે કહી શકાતું નથી. હું ભક્તિ કરું છું, બહુ જ્ઞાની છું, મારા મનમાં ક્રોધ નથી, કામ નથી-” એવી તમારી માન્યતા ખોટી છે. આ બધા જ વિકારો તમારી અંદર બેઠેલા છે. માનવ સહેજ ગાફેલ થાય એટલે અંદરના વિકારો બહાર આવે છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી મન પર વિશ્વાસ રાખશો નહીં.

એ પછી મોહિનીનારાયણે બધું અમૃત દેવોને પીવરાવી દીધું. અમૃતનો ખાલી કુંભ રાક્ષસો સમક્ષ પછાડયો. ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા. રાક્ષસોને ખ્યાલ આવી ગયો કે, દગો થયો છે. સાડીમાં આવેલી મોહિની તે તો ભગવાન વિષ્ણુ જ હતા. દૈત્યો ક્રોધે ભરાયા. ફરી દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અમૃતના પ્રભાવથી દેવો મર્યા નહીં. અમૃતના પ્રતાપે દેવોની શક્તિ વધી. દૈત્યો હારી ગયા. દેવોને ફરી સ્વર્ગનું રાજ મળ્યું પરંતુ શુક્રાચાર્યે સંજીવની મંત્રના પ્રતાપે મરી ગયેલા દૈત્યોને ફરી સજીવન કર્યા.

No comments: